આવકાર ‘નિવૃત્ત છતાં પ્રવૃત્ત કવિનાં બાળસાહિત્યને આવકાર.’ બાળસાહિત્યમાં બાળગીત એ એવું સ્વરૂપ છે; કે જે બાળક અને સર્જક બન્નેને સમાનપણે આકર્ષે છે. બાળગીત કે જોડકણાં લખવાનું લગભગ તમામ સર્જકોને સહેલું કામ લાગતું હોય છે. પરંતુ એ ખરેખર ખૂબ અઘરું કામ છે. એમ કહો કે, એ કંઇ ડાબા હાથનો ખેલ નથી! પોતાનું જીવન જીવી લીધા બાદ નિવૃત્તિ સમયે કવિ શ્રી જી. બી. મુંગલપરા આ બાળકવિતા અને જોડકણાનો સંગ્રહ લઈને આવે છે ત્યારે એમને હદયપૂર્વક આવકાર. સામાન્ય રીતે બાળકાવ્યોમાં પશુ-પંખીઓની વાત કરીને માનવ-બાળને રીઝવવા કે બોધ આપવાનો શિરસ્તો ઘણો જૂનો અને જાણીતો છે. આ કવિએ પણ એ જ પારંપરિક શિરસ્તો અપનાવેલ છે. પશુ-પંખીઓને ઓઠાં બનાવીને કાવ્યો કે જોડકણામાં અભિવ્યક્ત થયેલ એમની ઊર્મિઓ બાળકોને પહેલાં જ વાચને આકર્ષે અને યાદગાર નીવડે એવી શુભકામનાઓ. વર્ષોની તપસ્યા પછી આ સંગ્રહ આવે છે : એ નોંધનીય બાબત છે.વળી એડિશનલ કલેકટર જેવી વહીવટની દુનિયા સાથે સંકળાયેલ વ્યકિત બાળસાહિત્યમાં કંઇક કરે એ જ મોટી વાત છે! શ્રી મુંગલપરા સાહેબને એમના આ પુસ્તક માટે અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ. – કિરીટ ગોસ્વામી શિક્ષક અને બાળ સાહિત્યકાર જામનગર.
