યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઈન્ડીઆના રાજ્યના ક્રોફર્ડવિલે શહેરમાં સ્વ.જનરલ લ્યુ વોલેસની સમાધિ પર સોનેરી અક્ષરોએ લખવામાં આવ્યું છે, “એક હજાર વર્ષોના સામાન્ય જીવન કરતા ઈશ્વર સમીપની એક ઘડી સારી છે.” આ સ્વ. જનરલ લ્યુ વોલેસે ઈશ્વર પ્રેરણાથી પ્રભુ ઇસુ ખ્રિસ્તના જીવનકાળ દરમ્યાન આકાર લેતી વિશ્વ વિખ્યાત નવલકથા “બેન-હર” લખી અને હાર્પર બ્રધર્સે ૧૨મી નવેમ્બર ૧૮૮૦માં પ્રગટ કરી અને તેણે વિશ્વમાં “અંકલ ટોમ્સ કેબીન” પછી સર્વાધિક વંચાયેલી નવલકથા તરીકે સન્માન પ્રાપ્ત કર્યું. આ પુસ્તક પર ઘણીબધી ફિલ્મો પણ બની, તેમાં સહુથી વધુ નોંધપાત્ર અને આપણામાંથી ઘણાબધાએ જોઈ પણ હશે, તે વર્ષ ૧૯૫૯માં આવેલી અને ૧૧ એકેડેમી એવોર્ડ્સ પ્રાપ્ત ચાર્લ્સ હેસ્ટન, સ્ટીફન બોયડ અને હયા હરારિતને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બેન-હર છે. આ નવલકથાનો શબ્દશ: ભાવાનુવાદ ભારતીય ભાષાઓમાં સર્વપ્રથમ આપણી માતૃભાષા ગુજરાતીમાં શ્રી અશોકકુમાર હંસદેવજી સાગઠીયાએ કર્યો છે અને નેક્સસ સ્ટોરી પબ્લિકેશન દ્વારા ૧૪૩ વર્ષો પછી તેનું પ્રકાશન થયું છે.
