“હુંકાર” કરનાર એ તેજસ્વિનીની ઓળખ” હું ભણતી ત્યારે લ્યુઈસ ઈરીગેરે (Luis Irygere) તેમજ શિમીન ધબૂવાં (Simon Debuwvan) ની વિચારધારા ભણવામાં આવતી ત્યારે મને એક સ્ત્રી તરીકે, નારી તરીકે કદાચ અંજલિની મોટી બહેન તરીકે અંજલિની ક્રાંતિકારી રચનાઓ દ્વારા મળવાનું મને થયું ત્યારે નારી સુખના બહુ મોટા વિચારો કરતો આપણો સમાજ(?) બણગાં ફૂંકીને કહે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં સ્ત્રી પ્રત્યે અધિકારની ભાવના પ્રબળ છે ત્યારે સ્ત્રીના આદર્શો એટલે કે ત્યાગ, સમર્પણ, સહનશીલતા, સહિષ્ણુતા, હવામાં ઊડી જાય છે. નારીના ભાગે માત્ર આંસુ આવે છે ત્યારે નારીવાદ, નારી-સંવેદના, નારીચેતના માટે ‘હુંકાર’ ની કવિતા આપણને જગાડે છે, ઢંઢોળે છે, કાન પકડીને દોડતા કરે છે. ‘હુંકાર’ આ પ્રથમ કાવ્યસંગ્રહ છે તેમ છતાં એમાં ભરેલી વાસ્તવિક્તા, વિચારોની સ્પષ્ટતા, ક્રાંતિકારી વિચારધારા અને સ્ત્રીની મુંગી ચીસને સમજવાની જિજીવિષા આ બાબતો મને નજીકથી સ્પર્શી છે. હું ઈચ્છું છું કે અંજલિની આ કવિતાયાત્રા આમ જ અસ્ખલિત થઈને ચાલ્યા કરે અને “નારી સાચા અર્થમાં મુક્ત બને અને સાથે ‘સજ્જ’ બને” એ આ કાવ્યસંગ્રહનો ઉદ્દેશ અને સંદેશ છે. સાથે-સાથે નાની બહેન અંજલિને હું પણ કહીશ કે આ પદ્યના પુષ્પ છે, ગદ્યનો ગૂલદસ્તો જલદી આપે. આપણે તેની કાગડોળે પ્રતીક્ષા કરીશું કે શબ્દના ટોડલે કવિતાનો કાગ બોલે અને નવા પુસ્તક તરીકે મહેમાન આવે. લિ. ડો. કેકા રમેશ ભટ્ટ MA. PHD.