“બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન નહી, પરંતુ આંતરિક મજબૂતાઇ જરૂરી છે.” આજે મા-બાપો બાળકોને ચાહે છે ખરા પણ ઓળખાતા નથી. આમ કહીએ તો મજાક લાગે પરંતુ બાળકમાં રહેલી ખૂબીઓ અને ખામીઓ જાણવી એટલે તેને ઓળખવું. માતા-પિતા બનવાની આ અણઆવડતને કારણે આપણે સૌ બાળકોને અનુકુળ થવાને બદલે બાળકો આપણને અનુકુળ થાય તેવો આગ્રહ રાખીએ છીએ. અત્યારે બાળકો પાસે ઊંચા પરિણામની અપેક્ષાઓ રાખીએ છીએ એ સ્વાભાવિક છે. પરંતુ પરીક્ષાના પરિણામો એ માત્ર સારા જીવનના આધારરૂપ નથી હોતા એ સમજવું રહ્યું એટલે વાલી તરીકે જાગૃત રહેવું જરૂરી હોય છે. ઊંચા પરિણામોની અપેક્ષાથી બાળક ખળભળી જાય છે. એને સંઘર્ષ વાળી જિંદગી જીવવાનું ફાવતું નથી. એને શીખવવું જોઈએ કે કોઈને પણ સફળતા સંઘર્ષ વગર પ્રાપ્ત થતી નથી. એટલે કે દર વખતે અનુકુળ પરિસ્થિતિ ન પણ હોય પ્રતિકુળ પરિસ્થિતિનો સામનો કરવો પડે એવું બને, જે જિંદગીનો એક ભાગ છે. આજે મા-બાપો સંતાનને સગવડો આપીને એને પાંગળું બનાવી દે છે. દરેક ઘા એ પોતે ખમી લે છે. પરિણામે બાળક ભણવામાં તો આગળ નિકળી જાય છે, પણ જીવતરમાં એ પાછળ રહી જાય છે. સાંપ્રત સમયમાં શાળાઓ અને શિક્ષકો આ કાર્યની જવાબદારી નિભાવ્યા સિવાય કોઈ રસ્તો મને દેખાતો નથી અને મારો શાળા પરિવાર આ કામ ઉત્તમ રીતે કરી રહ્યો છે તેનું મને ગૌરવ છે. ડૉ. મહેશ ઠાકર આચાર્ય, નારાયણ વિદ્યાવિહાર
