યશદાયી બાળસાહિત્યકાર યશવંતદાદાના આશીર્વાદ ભાઈશ્રી મહેશ ધીમરનું ગુજરાતી બાળસાહિત્ય પર આગવું ઋણ છે. એ બાળનાટકો લખે છે. ગુજરાતી બાળસાહિત્યમાં સૌથી વધુ બાળવાર્તાઓ અને બાળગીતો લખાય છે. ચરિત્રાત્મક લેખન પણ ઠીક ઠીક થાય છે. બાળનાટકનું લેખન પ્રમાણમાં ઓછું છે. માટે જેઓ પ્રમુખપણે બાળનાટક લખતાં હોય એ ધન્યવાદને પાત્ર છે. ભજવણી કરાવતાં હોય તે વિશેષ ધન્યવાદને પાત્ર છે. આવા આજના અને ગઈ કાલના બાળનાટ્યકારોમાં અગત્યનું નામ છે મહેશ ધીમર. પોતાનું ઉપનામ ‘જ્યોત’ રાખનાર મહેશભાઈએ બાળનાટ્યનાં પાંચેક પુસ્તકો ૨૦૨૧ સુધીમાં પ્રગટ કર્યા છે. અને એમાંથી ઘણાખરાંને રાજ્યની સાહિત્ય અકાદમી સહિત અનેક સંસ્થાઓના પુરસ્કાર મળ્યા છે એ નાનીસૂની વાત નથી. દાયકાઓના બાળનાટક લેખનના અને ભજવણીના અનુભવ પછી મહેશ ધીમરે રચેલ આ બાળનાટકને હું ગુજરાતનાં કરોડો બાળકો વતી આવકારું છું. વિશ્વકક્ષાના બાળસાહિત્યકાર કાકાસાહેબ કાલેલકર જન્મદિવસ ૧ ડિસેમ્બર -૨૦૨૨. યશવંત મહેતા – અમદાવાદ
