મારી આજુબાજુ કે મારાં જીવનમાં બનેલી અગણિત ઘટનાઓએ મને વાર્તા લખવાની પ્રેરણા આપી એમ કહું તો જરાય ખોટું નહિ. શક્ય છે કે કદાચ આ વાર્તા ના પણ લાગે. જીવનમાં રોજબરોજ એવી ઘટનાઓ બનતી હોય છે કે જેને વાર્તાનું સ્વરૂપ આપી શકાય અને તેમાંથી જ વાર્તાના જુદા જુદા વિષય પણ મળી રહે. માણસ માત્ર સંવેદનશીલ પ્રાણી છે. પોતાના સંપર્કમાં આવતી દરેક વ્યક્તિની સંવેદનાઓ એને સ્પર્શે છે! હું ખૂબ સંવેદનશીલ વ્યક્તિ છું! વધારે પડતી સંવેદનશીલતા મને કોઈ પણ ઘટના વિશે સતત વિચારતી કરી મૂકે છે! આમ જુઓ તો દરેકનું જીવન એક વાર્તા છે. વ્યક્તિનાં જીવનમાં જુદા જુદા સમયે ઘટતી ઘટનાઓ વિશે દરેક વ્યક્તિ જુદી જુદી રીતે વિચારતી હોય છે અને કુશળ વાર્તાકાર એમાંથી સરસ વાર્તાઓનું સર્જન કરી શકે છે! ઘટના એક જ પણ દૃષ્ટિબિંદુ અલગ અલગ અને એટલે વાર્તા પણ અનોખી, અનોખી! આ પુસ્તકમાં મેં લખેલી દરેક વાર્તા સત્ય ઘટના ઉપર આધારિત છે. ઘટનાઓ ઉપર થોડા કલ્પનાના ઘોડા દોડાવીને વાર્તાનું સ્વરૂપ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે મારાં જેવી નવી લેખિકાની વાર્તાઓ ભાવકોને ગમશે. પ્રફુલ્લા “પ્રસન્ના”
