ગર્ભસંસ્કાર સંસ્કાર જે માતા થકી શિશુને ગર્ભાધાનથી લઇ પ્રસુતિ સુધીનાં નવ માસનાં ગર્ભકાળ દરમ્યાન આપવામાં આવે છે, જે જીવન પર્યન્ત બાળકનાં જીવનની દીવાદાંડી સમાન છે. જેમ એક ખેડૂત ઉપજાવ જમીન બનાવી બીજારોપણ કરી પાણી,ખાતર અને સંપૂર્ણ દેખરેખ સાથે યોગ્ય સારસંભાળ સાથે ખૂબ જ સારો પાક લે છે. માતા-પિતા દ્વારા એ જ રીતે ગર્ભકાળ દરમ્યાન યોગ્ય દેખરેખ,આહાર,વિહાર,વિચાર અને ઉત્તમ સંતતિની સંકલ્પબદ્ધતા જ ઉત્તમ સંતાનનાં જન્મનું દ્યોતક બને છે. વિપરીત સંજોગમાં પણ અમારા એક અભિભાવક કે જેનાં પરિવારમાં ગર્ભસંસ્કારની જાણકારી કે એ આપવા બાબતની અસ્વીકૃતિને સમજી માતા તરીકે સમર્પિત રહી ગર્ભસંસ્કારનું જ્ઞાન અમારા દ્વારા આત્મસાત કરી 9 મહિના પૂર્ણ સમર્પણ સાથે ઉપયોગ કરી, તંદુરસ્ત સંતાનને જન્મ આપ્યો જે એક ઉત્તમ માતાનું ઉદાહરણ કહેવાય.ત્યારે સહજતાથી જ ગુજરાતી કવિ/લેખક ઝવેરચંદ મેઘાણીનાં કવિતાનાં શબ્દો સ્ફુરે છે, “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ” અમારા માતા-પિતાનાં નતમસ્તક થઈ ધન્યવાદ કે તેઓનાં ઉચ્ચ સંસ્કાર થકી જ આજ અમે આ પુસ્તક સમાજમાં પહોંચાડવાની પ્રેરણા પામેલ છીએ. ગર્ભસંસ્કાર એ સનાતન સંસ્કૃતિની સેંકડો વર્ષોથી ચાલી આવતી એક ખૂબ જ ઉપયોગી અને જીવનમાં સહજતાથી વણી લઈ શકાય તેવી પદ્ધતિ છે જેને આજ વિશ્વભરમાં વિજ્ઞાન દ્વારા સ્વીકૃતિ પ્રાપ્ત છે.
