Svasthyaprada Aahar – Ajivan Svastha Raho (Gujarati) by Vaidhya Jagrut Patel

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે ત્રણ વસ્તુ અતિ આવશ્યક છે. – હવા, પાણી અને ખોરાક (આહાર). ખોરાક (આહાર) વિશે આપણે સહુ જાણીએ છીએ કે ખોરાક (આહાર)થી આપણા શરીરને પોષણ મળે છે, શરીરને શક્તિ મળે છે તેમજ શરીરમાં થતાં ઘસારાની પૂર્તિ પણ ખોરાક (આહાર) દ્વારા જ થાય છે. માત્ર એટલું જ નહિ – આપણા ખોરાક (આહાર)થી મનને પણ પોષણ મળે છે. તેથી જ કહેવાયું છે, કે – ‘જેવો આહાર, તેવો ઓડકાર અને તેવો વિચાર.’ અને આ જ ખોરાકના અયોગ્ય અને અવિવેકી ઉપયોગને કારણે બીમારીઓ પણ થાય છે. વળી શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે ખોરાક (આહાર) ની મન પર થતી અસરને કારણે જ ખોરાકના સાત્વિક, રાજસિક અને તામસિક – એવા ત્રણ ભેદ પાડેલ છે. આમ આપણો ખોરાક એ શરીર અને મન – બંનેના આરોગ્ય અને પોષણ માટે અગત્યનું પરિબળ છે. તો શું આપણે ગમે તેવો ખોરાક ખાઈશું તો ચાલશે? જવાબ છે, ના. શરીર અને મનની તંદુરસ્તી માટે આપણો ખોરાક સ્વાસ્થ્યપ્રદ હોવો જોઈએ. વળી આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ, તો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેનાર વ્યક્તિ સદા નિરોગી રહી શકે છે. તેથી પણ આ વિષય પર દરેક વાચકગણે માહિતગાર થવું જરૂરી છે.