વાંચન મારો શોખ છે. અને એ વાંચનને કારણે ચિંતન અનાયાસે થાય. ચિંતનના જે વિચારો સાંપડ્યા એ અહીં આલેખવાનો પ્રયાસ કર્યો છે. જીવનને મૌલિક દૃષ્ટિ થી જોવામાં આવે તો, જીવન વિશે નૂતન અભિગમ પ્રાપ્ત થાય. આ પુસ્તક થકી વાચકોને નૂતન અભિગમ અને સ્વસ્થ ચિંતન જાગે તેવી અપેક્ષા છે. રોજ સવારે મનમાં ઉદભવતા ચિંતનને, કેટલાક નજીકના મિત્રો સુધી સવારમાં વોટ્સઅપ દ્વારા મેસેજ હું મોકલતો. અને ઘણા મિત્રોના સારા પ્રતિભાવ પણ પ્રાપ્ત થયા. શ્રી પરેશભાઈ ભટ્ટ એ “ઠાકર વાણી” નામ થી આવકાર્યું. મિત્ર કિરીટસિંહ મહીડા એ પુસ્તક રૂપે આકાર આપવા માટે મને પ્રેર્યો. રજનીકાન્ત રાવલ સાહેબે એમના મધુર અવાજથી આ મેસેજને જીવંત કર્યો. શ્રી હરિવદન જોશી એ પણ આ પુસ્તક રૂપે પ્રગટ થાય એવી અપેક્ષા સેવી. આ ઉપરાંત મારા સહકર્મી મિત્રોનો ઉત્સાહ અને સહકાર મને સાંપડ્યાં. નાનકડી “ઠાકર વાણી” ની માધુરી થકી જીવન આનંદ ની થોડી ક્ષણો સર્વને મળી રહેશે. એમ અપેક્ષા રાખું છું. – ડૉ. મહેશ ઠાકર
